ગુજરાત વિધાનભાના પ્રથમ સત્ર દરમિયાન ધારાસભ્યો વચ્ચે થયેલી છૂટા હાથની મારામારી બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મામલાનો નિવેડો લાવવામાં આવ્યો અને ઘી ખીચડીમાં જ પડ્યું રહ્યું ત્યારે સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નવો ફણગો ફોડ્યો છે. ધારાસભ્યો માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવતા નવેસરથી વિવાદ થવાની શક્યતા નકારી શકાતી નથી.
સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નવી ગાઈડ લાઈન જાહેર કરી જણાવ્યું છે કે હવેથી વિધાનસભામાં ધારાસભ્યો અઠવાડિયા દરમિયાન ત્રણ જ તારાંકિત પ્રશ્નો પૂછી શકશે. સત્રનું નોટીફિકેશ જાહેર થયા બાદથી સત્રની પૂર્ણાહૂતિ સુધી ધારાસભ્યો ગમે તેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકશે નહી. અત્યાર સુધી વિધાનસભામાં કોઈ પણ ઘારાસભ્ય ગમે તેટલા પ્રશ્નો પૂછી શકતા હતા.
આ ઉપરાંત સત્ર દરમિયાન રોજે રોજ ધારાસભ્યો ત્રણ તારાંકિત પ્રશ્ન પુછી શકતા હતા. સ્પીકર દ્વારા આ નિર્ણય કરવા પાછળ એવું કારણ આપવામાં આવે છે કે કેટલાક ધારાસભ્યો દ્વારા અર્થ વગરના પ્રશ્નો પૂછવામાં આવે છે. આના કારણે જવાબ આપતી વખતે સરકાર અને સરકારના વિભાગોને વિગતો ગોતવામાં ભારણ થાય છે અને આના કારણે વિધાનસભાની કાર્યવાહી પણ બાધિત થાય છે. લોકોના પ્રશ્નો અંગે વિશેષ રૂપે ચર્ચા થાય તેના માટે આ નિર્ણય લવામાં આવ્યો હોવાનું સ્પીકર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કોંગ્રેસ દ્વારા સ્પીકર વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી તો સ્પીકરે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો જે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મધ્યસ્થીથી આખોય મામલો ઉકેલાયો હતો અને સામ-સામી દરખાસ્તો પરત ખેંચવામાં આવી હતી.
Comments
Post a Comment