મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગરીબ, વંચિત, પીડિત અને અતિગરીબ-શોષિત સમૂદાયને પણ સરળતાએ પોતીકું આવાસ છત્ર મળી રહે તેવા સંવેદનાસ્પર્શી ઉદાત્ત અભિગમથી ડૉ. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં હવેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે રૂ. 1 લાખ 20 હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારની આ બે આવાસ યોજનાઓમાં પ્રવર્તમાન મકાન સહાય 70 હજારમાં વધારો કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ 1 લાખ 20 હજાર અપાશે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમૂકત જાતિના લાભાર્થીઓને પંડિત દિનદયાળ આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે.
વિજય રૂપાણીએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની ડૉ. આંબેડકર આવાસ યોજનામાં હાલ મળતી 70 હજારની મકાન સહાયમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે 1.20 લાખ સહાય આપવાની જાહેરાત પણ આ સાથે કરી છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ડૉ. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મળવાપાત્ર શૌચાલય બાંધકામ સહાય નિયમાનુસાર અને પાત્રતાને આધિન રહીને અપાશે.
Comments
Post a Comment